ષોડશ સંસ્કાર
ષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય
ભારતીય સંસ્કૃતિ એ આદર્શ સમાજજીવનની દ્યોતક છે. આદર્શ પુરૂષ, આદર્શ પરિવાર અને આદર્શ સમાજ ની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું બીજારોપણ પેઢી દર પેઢી થાય તેના માટે સતત જાગૃત એવી આપણી આ ભારતીય સંસ્કૃતિ છે. આદર્શ ભારતીય જીવન પ્રણાલીની પાછળ રામ-કૃષ્ણ જેવા અવતારો અને મનુથી શરૂ કરીને વશિષ્ઠ, વાલ્મિકી, પરાશર, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક્ય જેવા તપોનિષ્ઠ ઋષિઓના જીવનોનાં યોગદાન રહ્યાં છે. ભારતીય જીવનપ્રણાલીમાં આદર્શ જીવન માટેનો આગ્રહ પણ એટલો જ પ્રત્યેક પરિવારમાં હતો, અને તેનું જ તો પરિણામ વ્યક્તિમાં, પરિવારમાં અને સમાજમાં જોવા મળતું હતું. જે આજે પણ જીર્ણ અવસ્થામાં જીવંત રહ્યું છે તેનું કારણ એ જ કે એ સંસ્કારો આજે પણ રંગસૂત્રોમાંથી નીકળી શકતાં નથી.
આ જ કારણે આજે પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જેને આદર છે અને સંસ્કારોનું જેને મન મહત્વ છે અને તેને પ્રાપ્ત કરવા માટે થોડું વેઠવાની અને માનસિક રીતે તૈયાર રહેવાની જેની તૈયારી છે તેના નવદંપતિ માટે આશીર્વાદ રૂપ બની રહે તે અર્થે આ પોસ્ટ અર્પણ કરી રહ્યો છું.
સંસ્કારનું પ્રયોજન - ષોડશ સંસ્કાર -2
સંસ્કાર પાછળનું પ્રયોજન શું ?
મનુષ્યજીવન એ ઉચ્ચત્તમ મૂલ્યવાન છે. સામાન્ય રીતે પશુ-પક્ષી યોનિમાં જન્મ ન મળતાં આપણને મનુષ્યજન્મ મળ્યો છે તે આપણું સૌભાગ્ય છે. ભારતીય સંસ્કૃતિ – વૈદિક સંસ્કૃતિ માને છે કે હજારો જન્મારાનાં પુણ્ય પ્રતાપે મનુષ્ય દેહ મળે છે અને આ મનુષ્ય દેહ એ અતિ મૂલ્યવાન છે. જ્યારે આ મનુષ્યદેહ મળ્યા પછી જેની પાસે ભગવાન – સમાજ – કુટુંબ – નિસર્ગ વગેરે તમામ કંઇ અપેક્ષા રાખીને બેઠા છે અને તે માટે આવનારી પેઢીને - મનુષ્ય જન્મ લઇને આવનાર જીવને વધુ સારી રીતે સુસંસ્કૃત, સુદ્રઢ, સ્વચ્છ, નિર્મળ અને સુંદર બનાવીએ તે અપેક્ષિત છે.
આ સૃષ્ટિ તરફ નજર કરીએ તો ભગવાને પણ આ સુંદર સૃષ્ટિ નિર્માણ કરી છે. માત્ર સપાટ જમીન ન રાખતાં તેના પર સુંદર મજાની ભાત પાડવા માટે પર્વતો – ટેકરીઓ – નદી- ખીણ વગેરેનું નિર્માણ કર્યું. માત્ર વૃક્ષો-વનસ્પતિ જ ન ઉગાડતાં તેના પર સુગંધિત અને રંગબેરંગી, મનને આહ્લાદ્ કરે તેવા પુષ્પોનું નિર્માણ કર્યું. તેવી જ રીતે આ સૃષ્ટિ પર જન્મ લઇને આવેલા જીવને જેવો ને તેવો ન રાખતાં તેને વિવિધ સંસ્કારો થકી ગુણવાન – ચારિત્ર્યવાન – બુદ્ધિમાન – ભાવવાન બનાવવામાં આવે તો આ મનુષ્યજીવન યથાર્થ બને. વળી, એટલું જ નહિં પણ ભગવાને આપણાં હાથમાં ખીલવવા માટે આપેલ જીવને ભગવાન – સૃષ્ટિ – સમાજ આનંદિત થાય – પ્રસન્ન થાય તેવો બનાવવાની જવાબદારી પણ આપણી છે.
વધુ વંચાયેલ
સંદર્ભિત માહિતી
નવીન સમાચાર
મુલાકાતો
- Users
- 18252
- Articles
- 45
- Articles View Hits
- 212631